- માર્ચ માસમાં નાસાએ આ નવો ધૂમકેતુ શોધ્યો હતો
- કલાકના ૨૯૦૦ કિ.મી.ની ઝડપે સૂર્યની પ્રદક્ષિણા કરતા આ ધૂમકેતુની પૂંછડીની લંબાઇ પાંચ કરોડ કિ.મી. હોવાનો અંદાજ
જામનગરના નભોમંડળમાં એક અલૌકિક ઘટના બની છે અને એક નવો ધૂમકેતુ 'નિયોવાઇઝ' દ્રશ્યમાન થઈ રહ્યો છે. હવે પછી આ ધૂમકેતુ ૬૮૬૭ વર્ષો બાદ સૂર્યની નજદીક આવશે, અને પૃથ્યી ઉપરથી દ્રશ્યમાન થશે. આ ધૂમકેતુ આ દાયકાનો સૌથી તેજસ્વી પૂંછડીઓ તારો છે. ધૂમકેતુ પૃથ્વીની સૌથી નજીક આવશે. અને આકાશમાં સૂર્યાસ્ત પછી નરી આંખો નિહાળી શકાશે.
તારાઓને આપણે રોજ ઉગતા અને આથમતા જોઇએ છીએ, ધૂમકેતુએ કવચિત નજરે પડતો આકાશી જયોતિ છે. એ અચાનક જ દેખાય છે. ધૂમકેતુ - પૂછડીઓ તારો એ આકાશનું અદ્ભૂત દ્રશ્ય છે. પણ એ ઓચિંતો નજરે પડે છે. ત્યારે ન કલ્પેલી લાંબી એની પુછડી જોઇ લોકો ભય પામી અનેક કુશંકાઓ દ્વારા અમંગળ ઘટનાની આગાહી કરે છે. પણ એ માત્ર અંધશ્રધ્ધા છે. આપણા આકાશમાં નજરે પડતા ગુરૃ, મંગળ, શની અને શુક્ર વગેરે ગ્રહોની જેમ ધૂમકેતુ એ પણ આપણી સૂર્યમાળાનો જ એક સભ્ય છે. સૂર્યના પ્રચંડ ગુરૃત્વાકર્ષણને કારણે ધૂમકેતુ દિર્ઘવર્તુળાકાર અથવા પરવલય કક્ષામાં સૂર્યની નિરંતર પ્રદક્ષીણા કરે છે.
આવો એક પૂંછડીઓ તારો હાલમાં આકાશમાં દ્રશ્યમાન છે. માર્ચ મહિનાની ૨૭મી તારીખે નાસાના ટેલીસ્કોપ દ્વારા શોધવામાં આવેલ. આ કોમેટનું ખગોળશા નામ સી-૨૦૨૦-એફ-૩ રાખવામાં આવેલ છે. આ ધૂમકેતુ ૩જી જુલાઇના રોજ સૂર્યથી સૌથી નજીક હતો. હાલમાં તે પૃથ્વીથી ૧૨ કરોડ કિલોમીટર દૂર છે. પરંતુ જુલાઇની ૨૩ તારીખે આ ધૂમકેતુ પૃથ્વીથી સૌથી નજીક એટલે ૧૦ કરોડ કિલોમીટર દૂર હશે. આ સમયે આ ધૂમકેતુને ઉત્તર - પશ્ચિમ દિશામાં એટલે કે વાયવ્ય ખૂણામાં સૂર્યાસ્ત બાદ એક કલાક સુધી સપ્તષિ તારા મંડળ પાસે ચમકતિ પુછડી સાથે જોઇ શકાશે. કલાકના ૨૯૦૦ કિલોમીટરની ઝડપે સૂર્યની પ્રદક્ષીણા કરતો આ ધૂમકેતુની પૂંછડીની લંબાઇ પાંચ કરોડ કિલોમીટર હોવાનો અંદાજ છે.
તા. ૧૮ જુલાઇના રોજ આ ''નિયોવાઇઝ'' ધૂમકેતુને લાંબી પુછડી સાથે જામનગર શહેરમાંથી ખગોળવિદ દ્વારા નિહાળવવામાં આવ્યો હતો. ખગોળ મંડળ - જામનગર દ્વારા જયારે પણ આવી અવકાશી ઘટના હોય છે, ત્યારે અવલોકન માટે જાહેર કાર્યક્રમ રાખવામાં આવે છે. હાલની પરિસ્થિતિને કારણે જાહેર અવલોકન રાખવામાં આવેલ નથી.