-ફ્રાન્સના મહાન ભવિષ્યવેત્તા નોસ્ટ્રાદેમસે 6338 આગાહી કરી હતી
- 21મી સદીમાં એક મોટા નેતાની હત્યા થશે અને તેના કારણે ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશે, યુદ્ધ પછી પશ્વિમનો પાવર ઘટી જશે
- રશિયન વિજ્ઞાાની ખતરનાક બાયોકેમિકલ વેપન્સ બનાવશે, જેનાથી દુનિયાની ઘણી વસતિનો નાશ થશે
ફ્રાન્સના મહાન ભવિષ્યવેત્તા નોસ્ટ્રાદેમસની કેટલીય ભવિષ્યવાણી સાચી પડી ચૂકી છે. એડોલ્ફ હિટલરના ઉદયથી લઈને અમેરિકન પ્રમુખ જ્હોન એફ કેનેડીની હત્યા સુધીની નોસ્ટ્રાદેમસની આગાહી સાચી પડી ચૂકી છે. નોસ્ટ્રાદેમસની આગાહીઓનું વિશ્લેષણ કરનારા નિષ્ણાતોએ દાવો કર્યો હતો એ પ્રમાણે નોસ્ટ્રાદેમસે લખ્યું હતું : ૨૦૨૦માં માનવજાત સામે મોટી મુસીબત આવી પડશે. પરંતુ તેનાથી પણ મોટો પડકાર ૨૦૨૧માં ત્રાટકશે. જ્યારે ખતરનાક દુકાળ પડશે. એ દુકાળ દુનિયાનો સૌથી ભયાનક દુકાળ સાબિત થશે. દુકાળનો અંત આવશે અને એ સાથે સ્થાપિત હિતોની સત્તાનો પણ અંત આવશે.
નોસ્ટ્રાદેમસે તો ત્યાં સુધી કહ્યું છે કે ૨૧મી સદીમાં ભયાનક ત્રીજું વિશ્વયુદ્ધ થશે. ભગવાનનું શહેર હિંસાથી ભડકશે. બે ભાઈઓ વચ્ચે લડાઈ થશે એટલે એ છૂટા પડી જશે. એક મોટા નેતાની હત્યા થશે અને તે ત્રીજા વિશ્વયુદ્ધનું કારણ બનશે. યુદ્ધ પછી પશ્વિમનું જગત નબળું પડશે અને પૂર્વમાં સત્તા-સમુદ્ધિનો સૂર્યોદય થશે.
૨૦૨૧માં પૃથ્વી સાથે વિશાળ અવકાશી ગ્રહ ટકરાશે અને તેના કારણે વિનાશ વેરાશે એવું પણ નોસ્ટ્રાદેમસે ભવિષ્યકથન કર્યું હતું. અવકાશવિજ્ઞાાનિકોનું માનીએ તો ૨૦૦૯ કેએફ-૧ એસ્ટ્રોઈડ ૬ મે-૨૦૨૧માં પૃથ્વી સાથે ટકરાઈ શકે છે.
૨૦૨૧માં પહેલીવાર એવા સૈનિકો આવશે, જેના દિમાગમાં માઈક્રોચીપ લાગેલી હશે અને તેનાથી એ યુદ્ધ લડશે. આ ઈશારો ચીનના સૈનિકો તરફ હોવાની શક્યતા છે. ચીન તેના સૈન્યને અત્યાધુનિક બનાવવાની વેતરણમાં છે. અમેરિકાના ગુપ્તચર વિભાગના ડીરેક્ટર જોન રેટક્લિફે ગયા વર્ષે કહ્યું હતું કે ચીન લશ્કરીશક્તિથી વિશ્વમાં દબદબો વધારવા માટે સૈન્યને આધુનિક બનાવી રહ્યું છે.
નોસ્ટ્રાદેમસે એક આગાહીમાં કહ્યું હતું કે રશિયાનો વિજ્ઞાાની એક ખતરનાક બાયોકેમિકલ વેપન્સ બનાવશે, જેનાથી દુનિયાની ઘણીખરી વસતિનો નાશ થઈ જશે. અડધા સાજા અડધા બળી ગયેલા લોકો દુનિયામાં હાહાકાર મચાવી દેશે એવી આગાહી પણ તેમણે કરી છે. ઝોમ્બી સાથે આ આગાહીને જોડીને જોવામાં આવે છે.
નોસ્ટ્રાદેમસની ભવિષ્યવાણી વર્ષ ૩૭૯૭ સુધીની છે. નોસ્ટ્રાદેમસનો જન્મ ૧૫૦૩માં ફ્રાન્સમાં થયો હતો અને ૧૫૫૫માં ભવિષ્યવાણીનો ગ્રંથ પ્રસિદ્ધ થયો હતો. એમાં કુલ ૬૩૩૮ ભવિષ્યવાણીઓ થઈ હતી. ૧૫૬૬માં નોસ્ટ્રાદેમસનું નિધન થયું હતું.
હિન્દુ સંત વીર બ્રહ્મેન્દ્ર સ્વામી ભારતના નોસ્ટ્રાદેમસ ગણાતા હતા
300 વર્ષ પહેલાં ભારતના હિન્દુ સંતે કોરોનાની આગાહી કરી હતી!
- કાલજ્ઞાાનમ્ નામના ગ્રંથમાં તેમણે લખ્યું હતું : પૂર્વમાં કોરોન્કી નામનો ઝેરી વાયુ ફેલાશે અને લાખો લોકો મૃત્યુ પામશે
તમિલનાડુના હિન્દુ સંત વીર બ્રહ્મેન્દ્ર સ્વામી ભારતના નોસ્ટ્રાદેમસ કહેવાય છે. ૧૬૧૦થી ૧૬૯૩ની વચ્ચે થઈ ગયેલા આ હિન્દુ સાધુએ કોરોના અંગે ભવિષ્યવાણી કરી હતી. તેમના કાલજ્ઞાાનમ્ નામના તેલુગુભાષાના ગ્રંથમાં કોરોનાને ઝેરી વાયુ ગણાવાયો છે.
આંધ્રપ્રદેશના કાલાપા જિલ્લામાં ૧૭મી સદીમાં એક મહાન સંત થઈ ગયા. વીર બ્રહ્મેન્દ્ર સ્વામી નામના આ સંતે કાલજ્ઞાાનમ્ નામનો ગ્રંથ રચ્યો હતો. કાલજ્ઞાાનમ્ એટલે કે કાળનું જ્ઞાાન અથવા ભવિષ્યનું જ્ઞાાન.
આ ગ્રંથમાં તેમણે ૧૧૪ નંબરના શ્લોકમાં લખ્યું હતું : પૂર્વમાંથી એક ઝેરી ગેસનો હાહાકાર ફેલાશે. લાખો લોકો એમાં મૃત્યુ પામશે. એ ઝેરીવાયુ કોરોન્કી નામથી ઓળખાશે અને તે એક કરોડ લોકોને બીમાર બનાવશે. જેમ મરધીઓ ટપોટપ મરી જાય છે એમ લોકો ટપોટપ મૃત્યુ પામશે.
આંધ્રપ્રદેશમાં રહેતાં સંતે પૂર્વમાંથી ઝેરીવાયુ ઉદ્ભવશે એવું કહ્યું હતું, તેનો અર્થ ઘણાં લોકો ચીનમાંથી ઉદ્ભવ્યો એવો કરે છે. આંધ્રપ્રદેશમાં એવી માન્યતા છે કે તેમણે જે ભવિષ્યકથનો કર્યા છે એ સાચા પડે છે. તેમણે ભારતની કેટલીય ઘટનાઓ વિશે ભવિષ્યવાણી કરી હોવાનું મનાય છે.
યુવાભવિષ્યવેત્તાની ભવિષ્યવાણી
ગયા વર્ષે અભિગ્ય નામના એક ૧૪ વર્ષના ભવિષ્યવેત્તાએ દાવો કર્યો હતો કે કોરોના વાયરસ ૨૦૨૦માં પૂરો થશે નહીં. સામાન્ય રીતે એવું મનાતું હતું કે ૨૦૨૦ના અંતે કોરોના વાયરસનો હાહાકાર ઘટી જશે, એ વખતે આ અભિગ્ય નામના કિશોરવયના ભવિષ્યવેત્તાએ યુટયૂબ વીડિયોમાં કહ્યું હતું કે ડિસેમ્બરથી ફરી મહામારી હાહાકાર મચાવશે અને તેનો સૌથી ખરાબ સમય માર્ચ-એપ્રિલ માસમાં હશે. અભિગ્યએ જ કોરોના વાયરસ ક્યારે પૂરો થશે તે અંગે પણ ભવિષ્યવાણી કરી હતી. યુવાભવિષ્યવેત્તાએ કહ્યું હતું કે ૩૧મી મે પછી વાયરસનો ત્રાસ ઘટી જશે. સંક્રમણ ઘટવાની શરૂઆત થઈ જશે. ૩૧મી જૂન પછી ખરેખર રાહત મળશે. ૨૧મી સદી અંગે અભિગ્યએ ભવિષ્યવાણી કરી હતી કે કોરોના કરતાં પણ વધારે ખતરનાક કુદરતી હોનારતો ત્રાટકશે. તેના કારણે દુનિયામાં અરાજકતા સર્જાઈ જશે. આ બધામાંથી માણસને તેની રોગપ્રતિકારક શક્તિ જ બચાવશે. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ સારી હશે તે જ આ કુદરતી હોનારતોમાંથી બચી શકશે.